ચાલો જાણીએ શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે ‘કર્મના સિદ્ધાંત’ વિષે

31
2203

કર્મફળ અવશ્ય ભોક્તવ્ય માનવાની સાથે જ પુનર્જન્મ સંકળાયેલો છે. જો કર્મફળવાદ ન હોય તો પુનર્જન્મની જરૂર ન રહે. ‘જીવનો જન્મ કેમ થાય છે?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં જવાબ અપાય છે: ‘અનેક જન્મોના બાકી રહેલાં કર્મોમાંથી જે કર્મો પાક્યાં છે તેને ભોગવવા માટે.’ એટલે પાકેલાં કર્મો પ્રમાણે જીવાત્માને વર્ણ-જાતિ, ધન, આરોગ્ય, સફળતા-નિષ્ફળતા, નર-નારીના સંબંધો, પુત્ર-પુત્રાદિની પ્રાપ્તિ, આયુષ્ય વગેરે મળે છે. એક રીતે પૂર્વનાં કર્મો પ્રમાણે જ તેને બધું સુખ-દુઃખ પ્રાપ્ત થતું હોય છે. જરા વિસ્તારથી ચર્ચા કરીએ. આટલી ચર્ચા કર્યા પછી હવે મૂળ વાત ઉપર આવીએ.

પુનર્જન્મમાં માનનારા ધર્મો, વર્તમાન જન્મનાં સુખ-દુઃખને ગયા જન્મોનાં પરિણામ માને છે. જેમકે, જન્મ લેવો. ઉત્તમ કર્મોવાળા બ્રાહ્મણાદિ શ્રેષ્ઠ વર્ણોમાં જન્મે છે, જન્મતાં જ તે પૂજ્ય-પવિત્ર, ધનાઢ્ય રાજકુંવર વગેરે બને છે: આ બધું તેને ગયા જન્મનું પુણ્ય ફળ મળ્યું કહેવાય.

આવી જ રીતે ચાંડાલાદિ નિમ્નતમ વર્ણ યા જાતિમાં જન્મનાર, જન્મતાં જ અસ્પૃશ્યતા, તિરસ્કાર, દરિદ્રતા, વિદ્યાહીનતા, સંસ્કારહીનતા વગેરે પ્રાપ્ત કરે છે તે ગયા જન્મનાં નીચ કર્મોને કારણે પ્રાપ્ત કરે છે. આવી જ રીતે પતિ-પત્નીની પ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, જીવનની સફળતા-નિષ્ફળતા, આયુષ્યની સીમા, આરોગ્ય, કીર્તિ વગેરે બધુંજ પૂર્વનાં કર્મ પ્રમાણે પ્રાપ્ત થતું હોય છે. આવી ધારણાઓ પૂર્વજન્મના આધારે બની છે અને ઘણી મજબૂતાઈથી ઊંડા મૂળ નાખીને સ્થિર થઇ છે.

જરા વિચારીએ, માનો કે પૂર્વનાં ઉત્તમ કર્મોથી એક જીવ રાજાને ત્યાં જન્મી રાજકુમાર બન્યો, પણ આ કર્મફળ માત્ર તેને જ સુખ આપનારું નથી થતું. રાજા-રાણી-પરિવાર અને પૂરી પ્રજા પણ રાજકુમારના જન્મથી સુખી થાય છે. તો આ બધાંને જે રાજકુમારની પ્રાપ્તિનું સુખ મળ્યું તે ક્યાં કર્મોથી મળ્યું?

આવી જ રીતે પૂર્વના કોઈ પાપકર્મથી રાજકુમારને સર્પદંશ થયો અને મારી ગયો. તો આ કર્મથી રાજકુમારને તો પાપકર્મનું પરિણામ મળ્યું. પણ રાજકુમારના મૃત્યુ થી રાજા-રાણી-પરિવાર અને પૂરી પ્રજા પણ દુઃખી-દુઃખી થાય છે. આ દુઃખ તેમને ક્યાં કર્મોથી મળ્યું? કોઈ પણ કર્મ, માત્ર એક જ જીવને સુખ-દુઃખ આપે તેવું બનતું નથી. તે જીવ સાથે સંકળાયેલા અનેક જીવોને તેની અસર થતી જ હોય છે. એટલે કર્મફળ માત્ર એક જીવ પૂરતું સીમિત ન રહેતાં ઘણા જીવો સાથે સંબંધ ધરાવતું થઇ જાય છે.

માનો કે પૂર્વના ઉત્તમ પુણ્યના કારણે રાજકુમારને ઉત્તમ રાણી મળી. પણ પ્રશ્ન એ થાય છે કે રાણીનાં ઉત્તમ પુણ્ય હશે તો તેને ઉત્તમ રાજકુમાર મળ્યો હશે. એટલે એકનાં જ ઉત્તમ કર્મો નહિ પણ બન્નેનાં ઉત્તમ કર્મો હશે એમ કહી શકાય. કેટલીક વાર એક ઉત્તમ હોય અને બીજું અધમ પણ હોય. તેમનું સુખી-દુઃખી દામ્પત્ય, તેમના પૂર્વનાં કર્મોને માની શકાય તો, તેમના સુખી દામ્પત્ય થી સુખી થનારાં બન્ને પક્ષનાં માતા-પિતા વગેરેને પણ પૂર્વનાં પુણ્યકર્મો હશે જ . આ બધાનાં પૂર્વ કર્મો નો એકી સાથે ઉદય થયો હોય તેમ બને. આમ એકસાથે બધાંનો પૂર્વકર્મનો શુભ ઉદય થયો હોય તો માતા-પિતા વગેરે બીજા પ્રસંગોથી દુઃખી કેમ થાય? માનો કે કોઈને રોગ થયો છે, દુઃખી છે. કોઈને શત્રુઓ વધી ગયા છે, દુઃખી છે. કોઈને ધન અથવા પદનો નાશ થયો છે, દુઃખી છે. આવાં અનેક કારણોસર સંબંધિત લોકો પણ સુખી-દુઃખી થતાં હોય છે. તો શું એમ માનવું કે પૂર્વનાં પાપકર્મોના ઉદયથી તે દુઃખી છે? એકસાથે એક જ સમયે આવાં ભિન્નભિન્ન કર્મોનો ઉદય થાય છે, એવું માનવું રહ્યું. અહીં ફરી પાછો પ્રશ્ન થાય કે આ દુઃખી લોકોનાં સંબંધીઓ પણ તેમની દશાથી સુખી છે. એટલે તેમનો પણ પૂર્વના કર્મોનો એવો ઉદય થયો હશે? કેટલીક વાર કોઈના સુખી દામ્પત્ય કે સુખી જીવનની ઈર્ષ્યાથી કોઈ દુઃખી થતું હોય છે તો તે ક્યાં કર્મે થાય છે?

માનો કે દશરથે હરણ સમજીને તીર માર્યું અને તે શ્રવણને વાગ્યું અને તે મરી ગયો. આ પાપકર્મ થયું, તે પૂર્વના કોઈ કર્મથી થયું કે નવું કર્મ થયું? પૂર્વના કર્મે થયું હોય તો દશરથને આગળ કશું ભોગવવાનું ન રહે. કર્મ પૂરું થયું. પણ શ્રવણના મૃત્યુથી તેનાં આંધળાં માતા-પિતા દુઃખી થયાં તે ક્યાં કર્મે દુઃખી થયાં? તે બિચારાં જીવનભર રખડી પડ્યાં તે ક્યાં કર્મે? અને માનો કે દશરથે નવું કર્મ કર્યું, તેનું પાપ બંધાયું અને તે પાપના પરિપાકરૂપે દશરથને પુત્રવિયોગે (શ્રીરામ ના વિયોગે) પ્રાણત્યાગ કરવો પડ્યો. (આવી ધારણા છે) ને ફરી પાછો પ્રશ્ન થાય છે કે દશરથને પુત્રવિયોગે પ્રાણ છોડવો પડ્યો તે તો ઠીક, પણ રામના વિયોગથી કૌશલ્યાદિ રાણીઓ, સીતા, પૂરી પ્રજા વગેરેને પણ અનહદ દુઃખ થયું. તે ક્યાં કર્મોથી થયું?

દશરથે તીર માર્યું અને કરેલું ભોગવ્યું ત્યાં સુધી તો કદાચ ઠીક છે, પણ આ એક વ્યક્તિનું કર્મ બીજાં ઘણાં લોકો સુધી ફેલાઈ જાય છે તેનું શું?

કેટલાક મૂર્ખાઓ તો વળી ત્યાં સુધી કર્મના સિદ્ધાંતને માને છે કે જેની સાથે જેવું કર્યું હોય તેની સાથે તેવું જ કર્મ ભોગવવું પડે. કૂતરાને રોટલો ખવડાવશો તો તમારે પણ કૂતરું થઈને આપેલો રોટલો ભોગવવો પડશે.

માનો કે તમે કૂતરાને રોટલો ખવડાવો છો. પક્ષીઓને દાણા નાખો છો, ગરીબોને જમાડો છો. તો આવતા જન્મે તમે કૂતરો થશો અને પેલો કૂતરો માણસ થઇ તમને રોટલો ખવડાવી દેવામાંથી છૂટશે. પક્ષીઓ પણ માણસ થશે અને તમે પક્ષીઓ થઈને તેના હાથના દાણા ખાશો, પેલો ગરીબ માણસ શ્રીમંત થશે અને તમે ગરીબ થઇ જમશો વગેરે.

માનો કે એક ડૂબતી સ્ત્રીને તમે બચાવી. હવે તમે નવા જન્મે ડૂબો એટલે પેલી સ્ત્રી તમને બચાવે. આવી જ રીતે હત્યા વગેરે કરનારનું પણ સમજવાનું. માનો કે કોઈ પુરુષે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો, હવે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી આવતા જન્મે પુરૂષ થાય અને પેલો પુરૂષ સ્ત્રી થાય અને પછી બળાત્કાર કરે. એટલે કર્મ પૂરું થાય. જો આવો કર્મ સિદ્ધાંત હોય તો તે કેટલો હાસ્યાસ્પદ અને ઘૃણિત થઇ જાય તે સમજી શકાય એમ છે. ફરી પાછી એની એ જ વાત કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી માત્ર દુઃખી નથી થતી. તેનાં સંબંધીઓ પણ દુઃખી થાય છે. ઘણી વાર તો બળાત્કારી પુરુષનાં સંબંધીઓ પણ દુઃખી થાય છે. આ બધાંએ પૂર્વમાં એવાં કર્મ કર્યા હતાં?

મહત્વની વાત એ છે કે હત્યા-બળાત્કાર વગેરે પૂર્વનાં કર્મોનું વળતર ફળ જ છે. જો તેવું હોય તો પોલીસકેસ, ન્યાય, સજા, ફાંસી વગેરે ન થવું જોઈએ. પણ થાય છે, તો શું પોલીસ, ન્યાયાધીશ, રાજ્ય વગેરે નવાં પાપકર્મો બાંધે છે અને તે નિમિત્તે જન્મ લઈને પેલાના હાથે સજા ભોગવશે? પેલો ન્યાયાધીશ થાય ત્યારે આ બધા સજા ભોગવશે? આવી ધારણા કદાપિ સુસંગત ન કહેવાય.

મને લાગે છે કે આવી રીતનો કર્મનો સિદ્ધાંત નિતાંત હાસ્યાસ્પદ, બાલીશ અને ગૂંચવાડો ઊભો કરનાર થઇ જાય છે. આ પ્રકારના કર્મના સિદ્ધાંતમાં પાયાની ભૂલ પુનર્જન્મવાદ તથા નિત્યશાશ્વત આત્મવાદ છે.

મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, પરંતુ એને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠ્ઠું બોલવું હોય તો જુઠ્ઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને ઈશ્વરે સંપૂર્ણ બનાવ્યો છે.

મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે.

માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય. એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડે જ્યારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની – બનાવી. પછી તેણે વેચાણની દુકાન ઉપર ગ્રાહકોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે : ‘You can choose any colour you like, provided it is black.’ એટલે કે તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ. બધી ગાડીઓ કાળા રંગની જ હતી ! બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી !

સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે કામ કરો અને પાછા એની જવાબદારીમાંથી મુક્ત રહો, એમ ન બને. Freedom implies responsibility. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો, તેનું ચોક્કસ ભાન રાખવું જ પડશે. ઈશ્વરે તો ગીતામાં સ્પષ્ટતા કરી દીધી છે કે તમે કર્મ કરો, તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી. કામ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. તમે પાપ કરો તો તમે દુઃખ ભોગવો, ભગવાન શા માટે ભોગવે ? તમે પુણ્ય કરો તો તમે સુખ પામો. ઈશ્વરને તમારું પુણ્ય નથી જોઈતું. તમે ખૂન કરો અને તમારા પિતાશ્રી ફાંસીએ ચઢે એવો ન્યાય ના થાય. કર્મ માત્ર બંધન છે તે બરાબર સમજી લેવું. કર્મ કરતાં પહેલાં કેવું કર્મ કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર. એક વખત કર્મ કર્યા પછી તેનું જે પરિણામ-બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે. આ સંબંધમાં એક વાર્તા મારા વાંચવામાં આવી છે : એક માણસે એક સંતમહાત્માને પૂછ્યું કે ‘મહારાજ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?’

આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ ‘સફળ’ થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને ‘નિષ્ફળ’ થયું ગણીએ છીએ. કોઈ પણ કર્મનાં બે જ પરિણામ હોઈ શકે : સફળતા અગર તો નિષ્ફળતા. ખરેખર તો કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી. કોઈ પણ કામ કરો, ફળ તો મળવાનું જ. એટલે તમામ કર્મ સ-ફળ જ હોય છે. તમારા ધાર્યા મુજબનું પરિણામ ના આવે એટલે તમે તેને નિષ્ફળ થયું ગણો છો, અને ત્યાં જ તમારી ભૂલ થાય છે. કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી; પરંતુ તે ફળ તમારી ધારણા પ્રમાણે જ આવે એવી કોઈ ગેરંટી નથી. તમારી ધારણા પ્રમાણેનું ફળ ના આવે તો તે કર્મ અગર તે કર્મ કરવાની પદ્ધતિમાં ક્યાંક દોષ સમજવો. ફળ તો ઈશ્વરના કાયદા મુજબ જ મળે અને કર્મનું ફળ આપવામાં કોઈ અન્યાય કે લાગવગશાહી ચાલે નહિ. જો તમે માત્ર ફળની ઉપર જ નજર રાખીને કર્મ કરો તો તે થવું જોઈએ તેટલા ઉત્તમ પ્રકારનું થાય જ નહિ અને તેના પરિણામે તેનું ફળ તમારી ધારણા મુજબનું આવે નહિ. પરંતુ અહીં કર્મ કરતાં પહેલાં ફળનો બિલકુલ ખ્યાલ જ ન રાખવો, અને કર્મ આંખો મીંચીને ધીબે જ રાખવું એવો અર્થ પણ નથી. કર્મ કરતાં ફળનો ખ્યાલ રાખવો જ પડે. દાખલા તરીકે કોઈ ખેડૂત ખરા ઉનાળામાં જ્યાં પાણીની બિલકુલ સગવડ ના હોય તેવી તદ્દન ઉષળ અને ખરાબા જેવી ખારી જમીનમાં અનાજનું ઉત્તમ બી નાખે તો તે ધોમધખતા તાપમાં બળી જ જાય. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો. પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.

કર્મનું ફળ ના મળવું જોઈએ અગર ફળ ના લેવું જોઈએ એવો ગીતાનો ઉપદેશ નથી. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ કહે કે મારે મારા કામનું ફળ (પાપ-દુઃખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ તો આપે જ, અને તે ભોગવવું જ પડે.

હવે કર્મયોગની વાત. અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણાં કહેવાતાં ભણેલાંઓ પણ ‘યોગ’ શબ્દ સાંભળીને ભડકે છે. ‘યોગ’ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. એકે એક માણસ તેના જીવનની એકએક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમનાં ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે. એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેકટર અગર તો કોઈ મોચી, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેક દરેક ક્ષણ – ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, નહાતાંધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.

ભગવદગીતા યોગનો સાચો અર્થ આપતાં કહે છે કે ‘પોતાનું કામ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ.’ પ્રારબ્ધવશાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે, તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાંય લાંબી નહિ કે બીજી બાંય ટૂંકી નહિ પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાંની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો તેણે યોગ કર્યો કહેવાય. તમે ચાલો ત્યારે તમે એવી કાળજીથી ચાલો કે તમને ઠોકર ના વાગે, તો તમે યોગ કર્યો કહેવાય. તમે પાણી પીઓ તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીઓ કે તમને અંતરસ ના જાય, તો તમે યોગ કર્યો કહેવાય. તમે કથા સાંભળવા જાઓ અગર તો પુસ્તક વાંચો, તે વખતે એકાગ્રચિત્તથી સાંભળો અગર તો વાંચો અને બીજે ક્યાંય ડાફોળિયાં ના મારો તો તમે યોગ કર્યો કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે, તે તેનો યોગ કહેવાય. આવી રીતે જીવનનું એકેએક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય.

મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે : ‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ |’ ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ જ યોગ. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યાપડ્યા ગંધાવાનો વખત આવશે તે વખતે યોગ કરીશું, તો તે નહિ કરી શકાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે.

Source : gujjumoj.com

31 COMMENTS

Comments are closed.